પોરબંદર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘પોર્ટ-લેડ ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન’ના વિઝનને સાકાર કરવા માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એક નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. પોરબંદરમાં ૧૦૦ હેક્ટર જમીન પર દેશનો સૌથી અદ્યતન ‘ફર્નિચર પાર્ક’ અને કુછડી પાસે અત્યાધુનિક ‘શિપ બિલ્ડિંગ ક્લસ્ટર’ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના રોડમેપ માટે પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને ‘વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ’ સફળતાપૂર્વક યોજાઈ ગઈ.
સમિટને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, ભારત ૨૦૪૭ સુધીમાં સંપૂર્ણ વિકસિત દેશ બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે થયેલા મુક્ત વ્યાપાર કરારો (FTA)થી આપણા ઉદ્યોગો માટે વૈશ્વિક બજારો ખુલ્યા છે. પોરબંદર પાસે સમુદ્ર કિનારો અને પૂરતી જમીન હોવાથી તે વ્યાપાર માટે બેસ્ટ લોકેશન છે. આ ફર્નિચર પાર્કમાં ડિઝાઇનિંગથી લઈને સ્કીલિંગ સેન્ટર સુધીની તમામ સુવિધાઓ એક જ છત્ર (One Umbrella) હેઠળ મળશે
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે, વાપી-અમદાવાદ ગોલ્ડન કોરિડોરની સરખામણીએ પોરબંદરમાં જમીનની કિંમત અને લેબર ઘણા સસ્તા છે, જે ઉદ્યોગકારો માટે મોટો ફાયદો છે. પોરબંદર ૫ નેશનલ હાઈવે, બ્રોડગેજ રેલ્વે અને પોર્ટથી જોડાયેલું છે. એટલું જ નહીં, આગામી ૨૫ જૂનથી અમદાવાદ અને મુંબઈ માટેની દૈનિક ફ્લાઈટ્સ પણ શરૂ થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આવનારી નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસીનો લાભ અહીંના ઉદ્યોગકારોને મળશે.
આ સમિટમાં ખાસ ઉપસ્થિત રહેલા બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સ્ટીવ હિકલિંગે ગુજરાતને દેશના આર્થિક વિકાસનું એન્જિન ગણાવ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પોરબંદરમાં તૈયાર થનારું ફર્નિચર આગામી સમયમાં બ્રિટનના બજારો સુધી પહોંચશે.
સમિટમાં દેશભરમાંથી ૫૦થી વધુ મોટા ફર્નિચર ઉદ્યોગકારો અને એસોસિયેશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તમામ ઉદ્યોગકારો આજે ૧૪ જૂનના રોજ સુચિત ફર્નિચર પાર્ક અને શિપ બિલ્ડિંગ ક્લસ્ટર માટે ભારવાડા અને કુછડી સહિતના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે. કાર્યક્રમની શરૂઆતમાં કલેક્ટર એસ. ડી. ધાનાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું, અને અંતમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સોર્સ: ગુજરાત માહિતી વિભાગ.









