આજે અષાઢી બીજના પવિત્ર પર્વે સમગ્ર સૌરાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયું છે. અષાઢી બીજ એટલે માત્ર રથયાત્રા જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રની સંત અને શૂરવીરોની ભૂમિ પર સેવા, સાધના અને શ્રદ્ધાનો સૂર્યોદય. આજના પાવન દિવસે વાવણીના શુકન સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામો પરબ અને તોરણીયા ખાતે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે.

અષાઢી બીજનો મહિમા અને ધાર્મિક મહત્વ
શાસ્ત્રોક્ત અને લોકવાયકા મુજબ, અષાઢ મહિનાની સુદ પક્ષની બીજ એ ખૂબ જ શુકનવંતો દિવસ ગણાય છે.
ધરતીપુત્રોનું નવું વર્ષ: આ દિવસથી ખેડૂતો પોતાના નવા વર્ષની શરૂઆત કરે છે. બળદ અને હળનું પૂજન કરી, અનોખી પરંપરા સાથે વર્ષા ઋતુને આવકારી વાવણીના શુકન કરવામાં આવે છે.
પ્રભુની નગરચર્યા: જગતના નાથ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજીને પ્રજાના સુખ-દુઃખ જાણવા નગરમાં નીકળે છે.

અલખના ઓટા સમાન ‘પરબ ધામ’ નો મહિમા
સૌરાષ્ટ્રમાં કહેવત છે કે ‘જેનું કોઈ નથી, એનો પરબનો પીર છે’. અષાઢી બીજ એટલે અજયાનાથ અને જનબાઈ (દાસી જીવણના ગુરુ) તથા સંત દેવીદાસ બાપુ અને અમર મા ની તપોભૂમિ એવા પરબ ધામનો મહાઉત્સવ.
સંત દેવીદાસ બાપુએ અષાઢી બીજના દિવસે જ સમાધિ લીધી હતી, જેથી આ દિવસ તેમનો નિર્વાણ દિવસ પણ છે.
અહીની અષાઢી બીજનો મેળો એ માત્ર મનોરંજન નથી, પણ સેવાનો મેળો છે. વર્ષો પહેલા મહારોગથી પીડાતા દર્દીઓની સેવા કરનાર આ ધામમાં આજે પણ બીજના દિવસે લાખો શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા અને મહાપ્રસાદનો લાભ લેવા ઉમટી પડે છે.

નકળંગ ધામ ‘તોરણીયા’ નો ભક્તિ ઉત્સવ
બીજ માર્ગી પરંપરા અને નકળંગ ધામ તરીકે પૂજાતું તોરણીયા મંદિર (તા. ધોરાજી) પણ અષાઢી બીજે ભક્તિના સાગરમાં ડૂબી જાય છે.
સંત શ્રી કરસનદાસ બાપુ અને રાજેન્દ્રદાસ બાપુની ગુરુગાદી એવા તોરણીયા ધામમાં અષાઢી બીજના પર્વે રાત્રે ભવ્ય મહાપૂજા અને લોક ડાયરાનું આયોજન થાય છે.
મહા વદ બીજ અને અષાઢી બીજનું અહી વિશેષ મહત્વ છે. તોરણીયા ધામમાં બિરાજતા નકળંગ ભગવાનના દર્શન કરવાથી ભક્તોના તમામ કષ્ટો દૂર થાય છે તેવી અખંડ શ્રદ્ધા છે.
આજે અષાઢી બીજના પાવન અવસરે સૌરાષ્ટ્ર ૨૪ લાઇવના તમામ વાચકોને ‘જય જગન્નાથ’ અને ‘જય અલખધણી’. ભગવાન સૌનું વર્ષ મંગલમય અને સમૃદ્ધ બનાવે તેવી પ્રાર્થના.









