જેતપુર-નવાગઢ નગરપાલિકાના વિકાસના દાવાઓ વચ્ચે એક મોટો ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવી રહ્યો છે. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે જેતપુરના વોર્ડ નંબર ૨ ના રહીશો આજે પણ નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. કૌશર હોલની પાછળ અને સામેના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો એવો તો અભાવ છે કે સ્થાનિક લોકોનો આક્રોશ હવે સાતમા આસમાને પહોંચ્યો છે.
આ દ્રશ્યો છે જેતપુરના વોર્ડ નંબર ૨ માં આવેલા કૌશર હોલ પાછળના વિસ્તારના. જ્યાં ચોમાસું શરૂ થતાં જ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઘૂંટણ સમાણા કાદવ-કીચડના સામ્રાજ્ય વચ્ચે લોકો પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં નિયમિત સફાઈ સુધ્ધાં થતી નથી. ઠેર-ઠેર કચરાના ઢગલા ખડકાતા મચ્છરોનો ત્રાસ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત વર્તાઈ રહી છે.
સમસ્યા માત્ર રસ્તા અને ગંદકી પૂરતી સીમિત નથી. અહીં પીવાના શુદ્ધ પાણી માટે પણ લોકોને ફાંફા મારવા પડી રહ્યા છે. કાં તો દૂષિત પાણી આવે છે અને કાં તો અનિયમિતતા. જેને કારણે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને પૈસા ખર્ચીને પાણી ખરીદવું પડે છે.
સ્થાનિકોનું કહેવું છે કે, નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં, ચૂંટાયેલા સ્થાનિક કાઉન્સિલરો કે પાલિકાના જવાબદાર અધિકારીઓ બંધ આંખે તમાશો જોઈ રહ્યા છે. નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ મત માંગવા આવે છે, પણ ચૂંટણી પત્યા પછી જનતાને રામભરોસે છોડી દેવાય છે.
હવે આ વિસ્તારના રહીશો આરપારના મૂડમાં છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં રોડ-રસ્તા, સફાઈ અને પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે, તો વોર્ડ નંબર ૨ ના તમામ રહીશો નગરપાલિકા કચેરીએ જઈ ઉગ્ર આંદોલન કરશે અને તંત્રનો ઘેરાવ કરશે. હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું પાલિકા તંત્ર જાગે છે કે પછી જનતાને આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે.









