ગાંધીનગર: દેશના આદિવાસી સમાજના ગૌરવ અને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી યોદ્ધા ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આજે ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે એક વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલ સહિતના રાજકીય અને સામાજિક મહાનુભાવોએ ઉપસ્થિત રહીને બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને રાષ્ટ્રસેવામાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આદિવાસી સમાજના અધિકારો અને સ્વાભિમાન માટે અવિરત સંઘર્ષ કર્યો
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના અધિકારો, સ્વાભિમાન અને સામાજિક ન્યાય માટે અવિરત સંઘર્ષ કર્યો હતો. તેમણે બ્રિટિશ શાસન સામે લડત આપીને દેશપ્રેમ, આત્મસન્માન અને જનકલ્યાણના મૂલ્યોને મજબૂત બનાવ્યા હતા. તેમનું જીવન આજની યુવા પેઢી માટે ખૂબ જ પ્રેરણારૂપ છે અને તેમના વિચારો સમાજને વિકાસ તથા એકતાના માર્ગે આગળ વધારવામાં હંમેશાં માર્ગદર્શક બની રહેશે.
મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી. બરંડા, કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત, તેમજ વિધાનસભાના દંડક શ્રી વિજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ટ્રાયબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કાર્યપાલક નિયામક ડૉ. સી.સી. ચૌધરી, સંયુક્ત કમિશનર શ્રી ભાવેશભાઈ દવે સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને આદિજાતિ સમાજના પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહીને ભગવાન બિરસા મુંડાના આદર્શોને અનુસરીને આદિવાસી સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. (https://gujaratinformation.gujarat.gov.in/)









