તાજેતરમાં જ રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે, જેમાં ભાવનગર મનપામાં ચૂંટાઈને આવેલા કોર્પોરેટરોની શૈક્ષણિક લાયકાત જોઈને મતદારોને પણ નવાઈ લાગી રહી છે. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે, શિક્ષિત ઉમેદવારો ચૂંટાઈને આવે તો વિકાસના કામો ઝડપથી થાય પરંતુ ભાવનગરમાં કંઈક ઉલટું જ ચિત્ર જોવા મળ્યું છે. ભાવનગર મનપામાં પ્રજાએ ખોબલે ખોબલે મત આપીને જે 52 નગરસેવકોને ચૂંટ્યા છે, તેમાંથી અડધા નગરસેવકોએ પણ ઉચ્ચ અભ્યાસ કરેલો નથી.
મળતી માહિતી મુજબ, 52 નગરસેવકમાંથી 5 એવા છે કે, જેઓ માત્ર 7 ધોરણથી ઓછો અભ્યાસ ધરાવે છે, જ્યારે 14 નગરસેવકો ધોરણ-10માં નાપાસ થયેલા છે. આ ઉપરાંત 10 નગરસેવકો એવા છે કે, જેમણે ધોરણ-10 અને 12 સુધીનો અભ્યાસ કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, ભાજપનો એક કોર્પોરેટર તો માત્ર એક ધોરણ સુધી જ ભણેલો છે. ઉચ્ચ અભ્યાસની વાત કરીએ તો, માત્ર 17 નગરસેવક ગ્રેજ્યુએટ છે.









