ગાંધીનગરમાં બે દિવસીય પર્યાવરણ ચિંતન શિબિર સંપન્ન: પર્યાવરણીય નિયમોનું પાલન દંડાત્મક નહીં, પ્રોત્સાહક બનશે
ગાંધીનગર: રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી બે દિવસીય ઉચ્ચ સ્તરીય કાર્યશિબિરનો ગાંધીનગર ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીની ગરિમામય અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવામાં GPCB ની ભૂમિકા સૌથી નિર્ણાયક રહેશે. વિકાસની સાથે સસ્ટેનેબિલિટી (ટકાઉપણું) સુનિશ્ચિત કરવી અને કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
ઉદ્યોગો પણ ચાલે અને પ્રદૂષણ પણ નહિવત થાય તેવું ‘ટીમ વર્ક’ જરૂરી
મંત્રીશ્રીએ પર્યાવરણ વિભાગના અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો કે, આગામી દિવસોમાં તેઓ ઉદ્યોગોના માત્ર નિયમનકાર નહીં, પરંતુ ‘મિત્ર અને માર્ગદર્શક’ બનીને કામ કરે. ઉદ્યોગો સાથે સતત સંવાદ જાળવી રાખવો જરૂરી છે જેથી રાજ્યમાં ઉદ્યોગો પણ ધમધમતા રહે અને પર્યાવરણને થતું નુકસાન પણ નહિવત કરી શકાય. આ શિબિરના વિઝન પ્લાન આધારે હવે અર્બન ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ અને વોટર રિસોર્સીસ જેવા વિભાગો પોતાના એક્શન પ્લાન તૈયાર કરશે.
CETP સુવિધા હશે ત્યાં જ નવા ઉદ્યોગોને મંજૂરી: અગ્ર સચિવ વિનોદ રાવ
વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી વિનોદ રાવે કાર્યશિબિરના કન્ક્લુડિંગ રિપોર્ટને રાજ્યના ભવિષ્ય માટે સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે:
- સ્વેચ્છાએ પાલન જરૂરી: પર્યાવરણના નિયમોનું પાલન કોર્ટના આદેશોથી થાય તેના કરતાં ઉદ્યોગો સ્વેચ્છાએ કરે તે વધુ હિતાવહ છે.
- વટવા મોડેલ એક ઉત્તમ ઉદાહરણ: અમદાવાદનું ‘વટવા મોડેલ’ પ્રદૂષણ ઘટાડવા માટે સમગ્ર રાજ્યમાં રોલ મોડેલ બન્યું છે.
- ભવિષ્યનું આયોજન: આગામી સમયમાં નવી ઇન્ડસ્ટ્રીઝ માટે એવો ડેવલપમેન્ટ પ્લાન બનશે જ્યાં CETP (કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જ મંજૂરી અપાશે, જેથી મોનિટરિંગ સરળ બને.
- બિન-નાણાકીય પ્રોત્સાહનો: સારું કામ કરનારા ઉદ્યોગોને સર્ટિફિકેટ કે સન્માન આપી પ્રોત્સાહિત કરાશે અને દંડાત્મક કાર્યવાહી મિનિમાઇઝ કરાશે.

વિકાસ અને પર્યાવરણ બંને સાથે રહી શકે છે: જીપીસીબી અધ્યક્ષ આર. બી. બારડ
GPCB ના અધ્યક્ષ શ્રી આર. બી. બારડે કાર્યશિબિરના તારણો રજૂ કરતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર એક ઇવેન્ટ નહોતો પરંતુ ભવિષ્યના ગ્રીન ગુજરાત માટેની એક ‘વિચાર યાત્રા’ હતી. આજે વિશ્વ ઇકોનોમિક ગ્રોથ અને એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી બંનેને સાથે લઈને ચાલી રહ્યું છે અને ગુજરાતે આ બંને વચ્ચે સંતુલન સાધીને દેશમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બે દિવસીય આ કાર્યશિબિરમાં રાજ્યના પર્યાવરણીય પડકારો, કાયદાકીય સુધારા, સંસ્થાકીય ક્ષમતાવર્ધન અને ટકાઉ ભવિષ્યના આયોજન અંગે દેશભરના નિષ્ણાતો દ્વારા વ્યાપક મંથન કરવામાં આવ્યું હતું.(https://gujaratinformation.gujarat.gov.in/)









