ગુજરાતના અમરેલી જિલ્લાના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં આવેલ બાબકોટ ગામ નજીકના રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં ખાનગી કંપનીઓને માઇનિંગ પ્રવૃત્તિઓ માટે જમીન ફાળવવાની ચર્ચાએ વન્યજીવ સંરક્ષણ વર્તુળોમાં ગંભીર ચિંતા જગાવી છે. આ વિસ્તાર જે સિંહો માટે એક મહત્વપૂર્ણ કોરિડોર અને નિવાસસ્થાન તરીકે ઓળખાય છે, તે અંદાજે 40 થી 51 સિંહોનો વસવાટ છે. છેલ્લી સિંહ ગણતરી દરમિયાન આ વિસ્તારમાં 51 સિંહો નોંધાયા હતા, જ્યારે વન વિભાગે અગાઉ 40 સિંહોની હાજરી કબૂલી હતી.
પ્રાપ્ત અહેવાલો અનુસાર 75 હેક્ટર જેટલી રિઝર્વ ફોરેસ્ટ જમીન નર્મદા સિમેન્ટ કંપની અથવા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની જેવી ખાનગી ઉદ્યોગોને માઇનિંગ માટે આપવાની હિલચાલ ચાલી રહી છે. આ દરખાસ્ત સામે વન વિભાગમાં જ આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. અગાઉના ડિસ્ટ્રિક્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) સહિત અનેક અધિકારીઓએ માઇનિંગ માટે નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. જોકે, તાજેતરમાં ધારી ગીર પૂર્વ ડિવિઝનની ઓફિસમાંથી કેટલાક વન અધિકારીઓ દ્વારા આ દરખાસ્તને હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યાની ચર્ચાએ સવાલો ઉભા કર્યા છે. આ બદલાયેલું વલણ શંકાસ્પદ માનવામાં આવી રહ્યું છે.









