ગીરમા સિંહ બાળના મૃત્યુ અંગે CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં: ગાંધીનગરમાં યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, વન વિભાગને આપ્યા આદેશ
ગાંધીનગર: ગીર સોમનાથ અને આસપાસના વન વિસ્તારમાં તાજેતરમાં થયેલા સિંહ બાળ (Cubs) ના મૃત્યુની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
ઘટનાની તલસ્પર્શી વિગતો મેળવી બેઠક દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સિંહ બાળના મૃત્યુ પાછળના કારણો, વન વિભાગ દ્વારા કરવામાં આવેલી તબીબી તપાસ અને ગીર વિસ્તારની વર્તમાન પરિસ્થિતિ અંગેની ઊંડી અને તલસ્પર્શી વિગતો મેળવી હતી. અધિકારીઓએ મુખ્યમંત્રીને સિંહોની સુરક્ષા અને લોકલ ટ્રેકિંગ સિસ્ટમ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
મુખ્યમંત્રીના વન વિભાગને કડક આદેશ: વન્યજીવોની સુરક્ષામાં કોઈ બાંધછોડ નહીં થાય. ગીરમાં સિંહો અને સિંહ બાળના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખવામાં આવે અને બીમાર વન્યજીવોને તાત્કાલિક શ્રેષ્ઠ સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે.

આગોતરા પગલાં લેવા સૂચના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે વન વિસ્તારમાં ઇન્ફેક્શન કે અન્ય કોઈ બીમારી ન ફેલાય તે માટે અત્યારથી જ પ્રી-મોન્સૂન એક્શન પ્લાન તૈયાર રાખવા પણ મુખ્યમંત્રીએ તાકીદ કરી છે. ગીરના ગૌરવ સમાન સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને આ બાબતે કોઈપણ સ્તરે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.









