ગાંધીનગર: રાજ્યના નાગરિકોની રજૂઆતોનો સ્થાનિક સ્તરે જ સુખદ અને સંતોષકારક નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ સંપૂર્ણપણે કટિબદ્ધ બન્યું છે. રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી જી. એસ. મલિકે ગાંધીનગર ખાતે રાજ્ય જનસંપર્ક કેન્દ્ર-ગૃહ વિભાગ અને પોલીસભવનના જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લઈ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે રજૂઆત લઈને આવેલા સામાન્ય નાગરિકો અને અરજદારો સાથે રૂબરૂ સંવાદ પણ કર્યો હતો.
ગાંધીનગર સુધી લાંબા નહીં થવું પડે, જિલ્લા કક્ષાએ જ મળશે ન્યાય
મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતા ડીજીપી શ્રી જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતેના આ કેન્દ્રમાં નાગરિકો કેવા પ્રકારના પ્રશ્નો લઈને આવે છે અને કયા જિલ્લાઓમાંથી અરજદારોની સંખ્યા વધુ રહે છે, તેની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી છે. જે જિલ્લાઓમાંથી વધુ નાગરિકોને ગાંધીનગર સુધી આવવું પડે છે, ત્યાં સ્થાનિક સ્તરે જ ન્યાય મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી એ આ સમીક્ષાનો મુખ્ય હેતુ છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, સામાન્ય નાગરિકોને પોતાના નાના-મોટા પ્રશ્નોના નિવારણ માટે ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે અને સ્થાનિક (જિલ્લા) સ્તરે જ તેમની ફરિયાદોનો સંતોષકારક નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા આગામી સમયમાં વધુ સક્ષમ અને અસરકારક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

તાત્કાલિક અને પારદર્શી નિકાલની વ્યવસ્થા
હાલના તબક્કે ગાંધીનગર ખાતે જે પણ રજૂઆતો આવે છે, તેને તાત્કાલિક સંબંધિત જિલ્લા કે જે-તે યુનિટમાં મોકલી આપીને અરજદારોને ઝડપી, પારદર્શી અને ન્યાયિક નિકાલ મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા પોલીસ પ્રશાસન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.
“જનસંપર્ક કાર્યાલય એ માત્ર અરજીઓ સ્વીકારવાનું કેન્દ્ર નથી, પરંતુ તે પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ છે.” > — શ્રી જી. એસ. મલિક (DGP, ગુજરાત)
આ નાગરિક કેન્દ્રિત અભિગમ આગામી દિવસોમાં જિલ્લા સ્તરે પણ એટલો જ મજબૂત કરાશે, (https://gujaratinformation.gujarat.gov.in/).









