જેતપુર શહેરમાં સગીર વયના બાળકો દ્વારા લાયસન્સ વગર જોખમી રીતે ચલાવવામાં આવતા વાહનોને રોકવા અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે જેતપુર સીટી પોલીસ દ્વારા એક ખાસ ટ્રાફિક ઝુંબેશ (ડ્રાઇવ) હાથ ધરવામાં આવી છે. આ કડક કાર્યવાહી અંતર્ગત પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ કરીને નિયમોનો ભંગ કરતા ૨૫ વાહનોને એમ.વી. એક્ટની કલમ ૨૦૭ મુજબ ડિટેઈન કર્યા છે.
જેતપુર સીટીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર અને તેમની ટીમ દ્વારા આ ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ ચેકિંગ દરમિયાન લાયસન્સ વગર વાહન ચલાવતા સગીર વયના બાળકોને અટકાવવામાં આવ્યા હતા અને તેમના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે વાલીઓને ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો સગીર બાળક વાહન ચલાવશે તો તેના વાલી સામે કડક કાયદેસરની કાર્યવાહી અને દંડની જોગવાઈ છે. સગીરોના હાથમાં વાહન આપવું એ તેમના પોતાના તેમજ અન્ય રાહદારીઓના જીવ માટે કેટલું જોખમી છે તેની ગંભીરતા પણ પોલીસ દ્વારા સમજાવવામાં આવી હતી.
પોલીસે જનજાગૃતિ માટે ચોંકાવનારા આંકડા જાહેર કરતા જણાવ્યું કે, ભારત દેશમાં માર્ગ અકસ્માતમાં દર વર્ષે લગભગ ૧,૭૭,૦૦૦ લોકો મૃત્યુ પામે છે, જે સરેરાશ દરરોજ ૪૮૫ અને દર ૧૨ કલાકે ૨૦ કિંમતી જીવ ગુમાવવા બરાબર છે.”જીવન અમૂલ્ય છે અને તેની કિંમત સમજી પોતાના વહાલસોયા સગીર વયના બાળકોને વાહન ચલાવવા ન આપો અને કાયદાના નિયમોનું પાલન કરો. જાણકાર બનો, સતર્ક રહો અને સુરક્ષિત રહો.”









