જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ બની ગઈ છે. ચોંકાવનારી વાસ્તવિકતા એ છે કે આ દૂષિત પાણી છોડવાની પ્રવૃત્તિ કોઈ છુપી રીતે નહીં, પણ બિલકુલ કાયમી ધોરણે અને ધોળા દિવસે ચાલી રહી છે. સ્થાનિક નાગરિકો અને ખેડૂતોના આરોગ્ય સાથે થઈ રહેલા આ ગંભીર ખિલવાડ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ આંખ આડા કાન કરી લીધા હોય તેમ લાગી રહ્યું છે.
ઔદ્યોગિક એકમો દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે ભાદર નદીમાં છોડાતું પાણી કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) માં શુદ્ધ કરીને જ વહાવવામાં આવે છે. પરંતુ ‘સૌરાષ્ટ્ર ૨૪ લાઈવ’ ના ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું છે. નદીમાં વહેતા લાલ-કાળા પાણી અને તેમાંથી આવતી અસહ્ય દુર્ગંધ સાબિત કરે છે કે કરોડોના ખર્ચે બનેલા આ પ્રોસેસિંગ યુનિટ્સ માત્ર સરકારી ચોપડે નિયમો બતાવવા માટે જ ચલાવવામાં આવે છે. વાસ્તવિકતામાં, પ્રદૂષણ માફિયાઓ બેરોકટોક ઝેરી કેમિકલ સીધું નદીમાં પધરાવી રહ્યા છે.
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લેતા, આ પ્રદૂષણ માફિયાઓની મોડસ ઓપરેન્ડી વધુ સક્રિય બને છે. વરસાદના કારણે નદીમાં જ્યારે કુદરતી પાણીનો વહેણ શરૂ થાય છે, ત્યારે તેનો ફાયદો ઉઠાવીને આ માફિયાઓ મોટા પ્રમાણમાં કેમિકલ છોડી દે છે, જેથી વરસાદના પાણી સાથે પ્રદૂષણ ભળી જાય અને પકડાય નહીં. જેતપુરમાં પ્રદૂષણનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કાયમી કે કડક ઉકેલ લાવવામાં આવ્યો નથી. GPCB ની ભૂમિકા સામે સળગતા સવાલો:
સ્થાનિક સામાજિક કાર્યકરો અને પત્રકારો દ્વારા વારંવાર લેખિત રજૂઆતો અને પુરાવા આપવા છતાં પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ કેમ કોઈ નક્કર પગલાં લેતા નથી?
શું પ્રદૂષણ બોર્ડના સાહેબોને આ ઝેરી પાણી દેખાતું નથી, કે પછી તેમની નજરને ‘અંધારી’ કરી દેવાનું કામ આ માફિયાઓ કરી રહ્યા છે?
વારંવાર નિયમો તોડતી ફેક્ટરીઓ લાઈસન્સ રદ કેમ કરવામાં આવતા નથી?
એસી ઓફિસોમાં બેસીને માત્ર દેખાડવા પૂરતી નોટિસો ઈસ્યુ કરવા સિવાય GPCB ની ગ્રાઉન્ડ પર કોઈ કામગીરી કેમ દેખાતી નથી?
જેતપુર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના કૂવા અને જમીન કેમિકલના કારણે બંજર થઈ રહ્યા છે. લોકો કેન્સર અને ચામડીના અસાધ્ય રોગોનો ભોગ બની રહ્યા છે.










